ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ હેક્ટર જમીન પાછી લેવા વિરુદ્ધના અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ લિમિટેડની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે. કોર્ટે અદાણી પોર્ટ્સ પાસેથી ૧૦૮ હેક્ટર જમીન પાછી લેવાના નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે.
અત્રે જણાવવાનું કે અદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં ૧૦૮ હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી જેમાં જમીન ફાળવણીને પડકારવામાં આવી હતી. જનહિત અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગૌચર જમીનના નુકસાનનો હવાલો આપવામાં આવ્યો હતો. ૨૦ વર્ષ પહેલા અદાણી સમૂહને જે જમીન ફાળવવામાં આવી હતી તે ફાળવણી રદ કરવાનો નિર્દેશ અપાયો હતો.
વાત જાણે એમ છે કે ગુજરાત સરકારે શુક્રવારે હાઈકોર્ટને જાણ કરી કે તે લગભગ ૧૦૮ હેક્ટર ગૌચર જમીન પાછી લઈ લેશે જે ૨૦૦૫માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટ પાસે અદાણી સમૂહના એક યુનિટને આપવામાં આવી હતી. કચ્છના નવીનાળગામના રહીશો દ્વારા અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડને ૨૩૧ એકર ગૌચર જમીન ફાળવણી કરવાના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કર્યાના ૧૩ વર્ષ બાદ સરકારે આ નિર્ણય લીધો છે.
જા કે રાજ્યના રેવન્યૂ વિભાગે ૨૦૦૫માં ફાળવણી કરી હતી પરંતુ ગ્રામીણોને આ અંગે ત્યારે ખબર પડી જ્યારે ૨૦૧૦માં એપીએસઈઝેડે ગૌચર જમીન પર વાડ લગાવવાનું શરૂ કર્યું. રહીશોના જણાવ્યાં મુજબ એપીએસઈઝેડને ૨૭૬ એકરમાંથી ૨૩૧ એકર જમીન ફાળવ્યા બાદ ગામમાં ફક્ત હવે ૪૫ એકર ગૌચર જમીન વધી છે. તેમણે એવો પણ તર્ક આપ્યો કે આ પગલું ગેરકાયદેસર છે, કારણ કે ગામમાં પહેલેથી જ ગૌચર જમીનની કમી છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે આ જમીન સાર્વજનિક છે અને સામુદાયિક સંસાધન છે.
ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૪માં જનહિત અરજીનો નિકાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે ડેપ્યુટી કમિશનરે ગૌચર માટે ૩૮૭ હેક્ટર વધારાની સરકારી જમીન આપવાનો આદેશ પાસ કર્યો હતો. જ્યારે આમ ન બન્યું તો હાઈકોર્ટમાં અનાદર અરજી દાખલ કરવામાં આવી. રાજ્ય સરકારે ૨૦૧૫માં કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરી દલીલ આપી કે પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન ફક્ત ૧૭ હેક્ટર છે. ત્યારબાદ રાજ્ય સરકારે બાકી જમીનને લગભગ ૭ કિમી દૂર ફાળવણી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જે ગ્રામીણોને સ્વીકાર્ય ન હતો. કારણ કે તેમનું કહેવું હતું કે પશુઓ માટે આટલું દૂર લઈ જવા એ શક્ય નથી.
એપ્રિલ ૨૦૨૪માં મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રેવન્યૂ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી (છઝ્રજી)ને સમાધાન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે એસીએસએ સોગંદનામા દ્વારા પીઠને જણાવ્યું કે રાજ્ય સરકારે લગભગ ૧૦૮ હેક્ટર એટલે કે ૨૬૬ એકર ગૌચર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે. જે અગાઉ એપીએસઈઝેડને ફાળવવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, મીન કાગળ પર નહીં પરંતુ ખરેખર આપવામાં આવે તેવા પગલાં લો. ગામની અંદર ગૌચર જમીન આપવાની હોય તો અદાણીને આપેલ જમીન પાછી લો.