આઇપીએલ ૨૦૨૫ માં લીગ સ્ટેજની અડધી સફર પૂરી થઈ ગઈ છે. બધી ટીમોએ કુલ ૧૪ લીગ મેચ રમવાની રહેશે. ૧૯ એપ્રિલ સુધીમાં, બધી ૧૦ ટીમોએ ઓછામાં ઓછી ૭ મેચ રમી છે. જ્યારે, લખનૌ અને રાજસ્થાન એવી બે ટીમો છે જેમણે અત્યાર સુધીમાં ૮-૮ મેચ રમી છે. અડધો લીગ તબક્કો પૂરો થયા પછી, પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. હાલમાં ૪ ટીમો છે જેમના ૧૦ પોઈન્ટ છે.
ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ એ ૪ ટીમો છે જેમના ખાતામાં હાલમાં ૧૦ પોઈન્ટ છે અને આ ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ-૪ માં છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, ગુજરાતની ટીમ નંબર ૧ પર, દિલ્હીની ટીમ નંબર ૨ પર, પંજાબની ટીમ નંબર ૩ પર અને લખનૌ ૪ પર છે. એવું લાગે છે કે આ ચાર ટીમો પ્લેઓફની રેસમાં પણ આગળ છે. લખનૌએ ૮ મેચ રમી છે અને બાકીની ટીમોએ સાત-સાત મેચ રમી છે. જા આ ટીમો આગામી ત્રણ મેચ જીતી જાય તો તેઓ પ્લેઓફમાં સરળતાથી પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાતમાંથી ચાર મેચ જીતી છે અને ટીમ ૮ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. આરસીબી એકમાત્ર એવી ટીમ છે જેના ખાતામાં આઠ પોઈન્ટ છે. છઠ્ઠા અને સાતમા ક્રમે રહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડીયન્સે ૭-૭ મેચ રમી છે, જેમાંથી તેમણે ૩ જીતી છે અને હાલમાં તેમના ૬ પોઈન્ટ છે. જા આ ટીમો આગામી મેચોમાં સારું પ્રદર્શન કરશે તો તેઓ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.
રાજસ્થાન રોયલ્સે ૮ મેચમાં ૨ જીત નોંધાવી છે અને ૪ પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સે ૭-૭ મેચમાં ૨ જીત સાથે ૪-૪ પોઈન્ટ મેળવ્યા છે. રાજસ્થાન હાલમાં આઠમા ક્રમે,એસઆરએચ નવમા ક્રમે અને સીએસકે ૧૦મા ક્રમે છે. રાજસ્થાન, હૈદરાબાદ અને ચેન્નાઈ માટે અહીંથી પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગે છે. આ ટીમોએ ટોપ-૪માં પહોંચવા માટે બાકીની બધી મેચ જીતવી પડશે.