અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી મોટાભાગે આથમણી દિશાના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે સારા ચોમાસાનો વર્તારો આપ્યો હતો. વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખત્રીજની વહેલી સવારે ૩ વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. તેમજ નૈઋત્ય દિશામાંથી આવતા પવનનું પ્રમાણ ઓછું રહેતા ચોમાસાની શરૂઆત સારી અને સાર્વત્રિક રીતે થાય તેવી શક્યતા વર્તાઇ હતી. આથમણો પવન વાતા વનરાજી ખીલી ઉઠે અને નૈઋત્ય દિશામાંથી ઓછી ફણગીઓ આવતા આગામી ચોમાસુ સારુ રહે તેવો વરતારો થાય. વચ્ચે વચ્ચે વાયવ્ય દિશામાંથી પણ પવન શરૂ રહેતા આ વર્ષનું ચોમાસુ ખૂબ સારું રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. આ વર્ષે તમામ ચૈત્રી દનૈયા સારી રીતે તપતા ચોમાસાની શરૂઆતમાં જ સર્વત્ર વાવણી લાયક વરસાદ પડી શકે છે.










































