ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ વર્ષે અખાત્રીજની વહેલી સવારે ૩ વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાયને પૂર્વ તરફ ગયો હતો. તેમજ સાથે સાથે નૈઋત્ય દિશામાંથી પણ ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા મોડી અને સાર્વત્રિક રીતે ન થાય તેવી શક્યતા વર્તાઇ હતી. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આથમણો પવન વાતા “વનરાજી ખીલી ઉઠે” તેમજ સાથે રહેલા નૈઋત્ય દિશાના પવનથી આગામી ચોમાસુ પ્રમાણમાં મધ્યમ રહે. વધુમાં ચૈત્રી દનૈયા દરમિયાન છેલ્લા બે દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ચોમાસાના અંત ભાગમાં જરૂરિયાત મુજબ વરસાદ ન પડે તેવી પણ શક્યતા રહેલી છે. તેમજ વહેલી સવારથી જ નૈઋત્ય દિશાના પવનને કારણે સર્વત્ર વાવણી લાયક વરસાદને બદલે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે વાવણી થવાની તેમજ છેતરામણા વરસાદ અને પાકમાં રોગને લીધે બિયારણ બગડવાની શક્યતા મનાઈ રહી છે. આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરે આવનાર ચોમાસું પ્રમાણમાં મધ્યમ રહે તેવું જાણકારો માને છે, ત્યારે આગામી ચોમાસામાં પાક અને પાણીની સ્થિતિ સારી રહે તેવી આશા રાખીએ.